ADVERTISEMENTs

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવસારી ખાતે મહિલા દિવસની ઉજવણી.

વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યની ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ.

નવસારીના વાંસી બોરસી ખાતે યોજાયેલ કાર્યક્રમ / માહિતી વિભાગ, ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતે આયોજિત ‘લખપતિ દીદી સંમેલન'માં જણાવ્યું કે, પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, આ અવસર તેમના જીવનની ગૌરવભરી ક્ષણ છે. 

તેમણે લખપતિ દીદીઓને સન્માનિત કરતાં કહ્યુ કે, વાર્ષિક એક લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. ભારતની નારીશક્તિએ દેશના વિકાસની બાગડોર સંભાળી લીધી છે, પરિણામે 'વિકસિત ભારત@૨૦૪૭'નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી'ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણીમાં સહભાગી થયા હતા. વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યના ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ કરી હતી. 

લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને આર્થિક સક્ષમ બનાવવાના હેતુ સાથે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનશ્રીએ લોન્ચિંગ પણ કર્યું હતું.  

વડાપ્રધાનશ્રીએ આ સમારોહ માટેના સભા મંડપમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની સાથે ખૂલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતાં લખપતિ દીદીઓનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપરાંત, કાર્યક્રમ સ્થળે આયોજિત ૩૩ જિલ્લાના વિશેષ સખી મંડળોના સ્ટોલ પ્રદર્શન અને નવસારી જિલ્લાના વિશેષ રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ પ્રદર્શનીની મુલાકાત પણ લીધી હતી.

નવસારીના વાંસી બોરસી ખાતે યોજાયેલ કાર્યક્રમ / માહિતી વિભાગ, ગુજરાત.

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામવિકાસ વિભાગ) દ્વારા આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ઉપસ્થિત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની ૧ લાખ મહિલાઓને સંબોધતા વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, લખપતિ દીદી પહેલ એ માત્ર માતાઓ- બહેનોની આવક વધારવાનો પ્રયાસ જ નથી, પરંતુ પરિવાર અને ભાવિ પેઢીઓને મજબૂત બનાવવાનું એક મેગા અભિયાન છે. નારાયણી સમી નારીઓનું સન્માન સમાજ અને દેશના વિકાસનું પ્રથમ પગથિયું હોય છે, ત્યારે દેશ વિમેન લેડ ડેવલપમેન્ટ- મહિલાકેન્દ્રી વિકાસની દિશામાં મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે. 

વડાપ્રધાનશ્રીએ ગર્વથી કહ્યું કે, મારી જિંદગીના ખાતામાં દેશની કરોડો માતૃશક્તિના આશીર્વાદ જમા થયા છે. કૃપા અને આશીર્વાદથી વિશ્વનો સૌથી વધુ ધનિક હોવાની લાગણી થઈ રહી છે. માતા-બહેનોના આ આશીર્વાદની જમાપૂંજી સતત વધી રહી છે, તેમના આશીર્વાદ મારી સંપત્તિ અને સુરક્ષા કવચ બન્યા છે. 

ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવનધોરણ ઊંચું આવે અને આર્થિક રીતે પગભર બને તે માટે ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોની રચના કરી તેને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરીને આર્થિક પગભર કરી લખપતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. લખપતિ દીદી પરિવારની પ્રગતિનો આધાર બની રહી છે એમ પણ વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related